રવિવાર, 6 મે, 2012

જંગલનો જાદુઈ બોધ

              એક ઘનઘોર જંગલમાં શિકારી પહોચી ગયો . એને જોઈતો 


શિકાર ના સાંપડ્યો એટલે ઊંડે ને ઊંડે વનમાં આગળ વધતો ગયો . 


ત્યાં એક ઝાડ પર મોટું બોર્ડ લટકતું નજરે પડ્યું : " અહી કોઈએ 


પથ્થરો ચાવવા નહી ?"


             આવું બોર્ડ જોઈ અને એની આવી સૂચના આ અગાઉ કયાયે  


વાંચવામાં આવી નહોતી . એનું મગજ વિષ્લેષણે ચડ્યું , બોર્ડના 


વાક્યના શબ્દેશબ્દનું .


             'અહી ' એટલે કે નિબીડ જંગલ .


               જંગલમાં હિંસક પશુઓ હોય , વૃક્ષ પર રહેતા , માળો 


બાંધતા પંખીઓ હોય , જંગલ નિર્જન હોય .....


               'કોઈએ ' એટલે કોણ ?


                તો શું કોઈ - પ્રાણીઓ અને પંખીઓ ? ઝાડના પાંદડાઓ  ?


ફૂલો - ફળો ? 


              અહી જંગલમાં તો મોટે ભાગે તરુવરો હોય છે . પહાડ પર 


હોય એવી શિલાઓ કે પથ્થરો નાં હોય ..


             'ચાવવા નહી ' એટલે ચર્વાણ નો પ્રતિબંધ .


             શિકારી બુદ્ધિશાળી હતો એટલે એનું ચિત ચગડોળ પર ચડી 


ગયું . અહિયાં આ વનમાં , શું પશુ - પંખીઓ પથ્થરો ચાવવા આવી 


વસતા હશે ? કોઈ મજાકખોરે મસ્તીમાં આ બોર્ડ પર વિચિત્ર મો -  


માથા વગરનું લખાણ ચીતરી કાઢ્યું લાગે છે . 


                ચાલ જીવ ! હજુ વનરાજીમાં ઊંડે પહોચી મારો શિકાર 


શોધી  લાવું . મારો તો દા'ડો બગડશે . પરંતુ પેલું બોર્ડ અને અર્થ 


વગરની સૂચના જાણે ઝાડ પરથી શિકારીના મગજ પર ચઢી ચોટી 


પડી હતી !


               "અહી કોઈએ પથ્થરો ચાવવા નહી !"


              થોડો જંગલના ગહન ઊંડાણમાં પહોચ્યો તો એક મોટા 


વટવૃક્ષ નીચે કોઈ અવધૂત સમાં સંત બેઠા હતા . 


               શિકારીને પેલી સૂચના , જળોની જેમ વળગી રહી હતી . 


એટલે અવધૂતની પાસે ઉભો રહી ગયો .


               પગે પડ્યો ને બોલવા જતો હતો ત્યાં જ સાધુ બોલ્યા :


'તારા ચહેરા પરથી સમજી ગયો કે શું સવાલ મનમાં સંઘરીને તું 


જવાબ મેળવવા આવ્યો છે , ખરું ને?'


            શિકારી : 'સમજી જાની ગયા હોય તો આપ બોલી દો મારા 


મનમાં ચાલતો - હાલતો સવાલ .'


           સાધુ : કહી દઉં  ? "અહી કોઈએ પથ્થરો ચાવવા નહી ."


શિકારી તરત પગમાં ઝૂકી ગયો ને બોલ્યો , 'બાપજી , તમે સાચું 


પારખી ગયા , હવે મને આ બોર્ડના કથનનો ફોડ પાડી દો .'


         સાધુ : 'આનો સાર સાદો છે , તારા તમામ વ્યસનો , તારી 


તમામ ટેવો એ એક જાતના બંધનબોજ જેવા પથરા જ છે . તું પાન 


ચાવે કે તમાકુ ચાવે ,માવો ચાવે પણ વાસ્તવમાં એ બધા પથ્થરો જ 


છે . હાથે - હૈયે - ગળે - જીભે તે જાતે જ બાંધી રાખ્યા છે , તે તોડી દે , 


તે ફોડી દે ...


        પથરા ચવાય નહી , ચવાતા હશે કદી ? માટે જંગલ પાસેથી 


આટલો  બોધ વર્તનમાં મૂકી દે તો હાલ જ સુખી થઈશ .'


         અવધૂતના વચન સાંભળી શિકારી , પોતાની અંદરના કોઈ 


દુરિત અનિષ્ટનો શિકાર થઇ ગયાના સંતોષ સાથે નિજ ઘેર પાછો 


વળ્યો ! ! ! 


                                                   - રાધેશ્યામ શર્મા 


  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો